મંગળવાર, 3 જૂન, 2025

નગરશેઠ ખુશાલચંદ

અમદાવાદના ખુમારીવાળા નગરશેઠ ખુશાલચંદ પોતાનું સૈન્ય રાખતા હતા

અમદાવાદના શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં સચવાયેલો એ અમૂલ્ય દસ્તાવેજ

આંખ છીપ, અંતર મોતી-આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

 

 

ઇતિહાસ એક એવું દર્પણ છે જેમાં સત્યનો ચહેરો નિહાળવા મળે છે. 'ગુજરાતના હીરા' તરીકે સુપ્રસિદ્ધ નગરશેઠ ખુશાલચંદ (અ. સને. ૧૮૦૫) કુશળ વેપારી હતા અને બાહોશ મુત્સદ્દી હતા. એમણે અમદાવાદને લૂંટાતું બચાવ્યું હતું. ઇ.સ. સંવત ૧૭૨૫માં મરાઠા સરદારો અમદાવાદમાં લૂંટફાટ કરવા આવ્યા ત્યારે નગરશેઠ ખુશાલચંદ સમજી ગયા કે આ પળે જો હિંમતથી કામ લેવામાં ન આવે તો ભારે અનર્થ થઈ જાય. એમણે સમયસૂચકતા વાપરીને રાતનું અંધારુ માથે ઓઢીને ડર્યા વિના મરાઠા સરદારોને મળીને પોતાની અંગત મૂડીમાંથી તે સમયે અઢી લાખ રૂપિયા ચૂકવીને અમદાવાદને બચાવી લીધું !

તે સમયે એ કેટલી મોટી રકમ હતી !

અમદાવાદે જ્યારે આ જાણ્યું ત્યારે ચારે તરફ પ્રશંસાનો જે ધોધ વહ્યો તે કલ્પનાતીત હતો. તે સમયના નાના-મોટા તમામ વેપારીઓ (તેમાં હિન્દુ- મુસલમાન સૌ આવી જાય છે.) તરફથી નગરશેઠ ખુશાલચંદને ૮-૧૦-૧૭૨૫ના રોજ ઐતિહાસિક દસ્તાવેજ અર્પણ કરવામાં આવ્યો. આ દસ્તાવેજમાં તે સમયના અંગ્રેજ, ડચ, ફ્રેન્ચ વેપારીઓની સહીઓ પણ છે. આ દસ્તાવેજનું ઐતિહાસિક મૂલ્ય ઘણું છે. આ દસ્તાવેજમાં લખવામાં આવ્યું છે કે, 'અમદાવાદના નગરશેઠ અને મહાજનોના વડીલ નગરશેઠ ખુશાલચંદે પોતાની તિજોરીમાંથી નાણાં આપીને લૂંટારાઓની લૂંટમાંથી લૂંટાતું આ નગરને બચાવ્યું છે. તેની કદરરૂપે અમે સમસ્ત મહાજનો લખાણ કરી આપીએ છીએ કે શહેરમાંથી આવતા અને જતા માલસમાનની જે (ઓક્ટ્રોય)ની આવક થાય તેમાંથી ૧૦૦ રૂપિયાના હિસાબે ૦.૨૫નો હિસ્સો નગરશેઠ ખુશાલચંદને અને તેમના વંશજોને સદાય મળ્યા કરે.'

આ દસ્તાવેજમાં મહાજનોના પ્રતિનિધિઓરૂપે ૫૩ વ્યક્તિઓની સહીઓ છે. અહીં નોંધવું જોઈએ કે નગરશેઠ ખુશાલચંદના પરિવારની પેઢીઓમાં નગરશેઠ પ્રેમાભાઈ અને પછી નગરશેઠ વિમળભાઈ એટલે કે હમણાં સુધી આ રકમ મળતી હતી.

આ દસ્તાવેજ આજે પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી- અમદાવાદમાં સચવાયેલો છે.

માનવીને પુણ્યથી સંપત્તિ મળી ગયા પછી તેનો જ્યારે સદુપયોગ કરે છે ત્યારે તેને જે યશ પ્રાપ્ત થાય છે તેને જે યશ પ્રાપ્ત થાય છે તેનો આ અદ્ભુત કિસ્સો છે.

નગરશેઠ ખુશાલચંદ સ્વમાનથી જીવ્યા.

ગુજરાતના સુબેદાર સર બુલંદખાને નગરશેઠ ખુશાલચંદને વિરોધીઓની ભંભેરણીઓથી કેદખાનામાં પૂર્યા. નગરશેઠે સુબેદારને રૂા. ૬૦,૦૦૦ ચૂકવીને મુક્ત થયા પછી અમદાવાદમાં રજવાડી શેઠથી નગરશેઠાઈ જાળવી રાખી તે સમયે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણકનો દિવસ હતો. જૈન સંઘના રિવાજ મુજબ તે દિવસે વરઘોડો નીકળે. તે સમયે રાજની પરવાનગી લેવાનો કોઈ નિયમ નહોતો. વરઘોડો નીકળ્યો એટલે સુબેદાર બુલંદખાને કહ્યું કે, તમારે પરવાનગી લેવી પડે. વાત વટ પર ચઢી ગઈ. નગરશેઠ કહે કે આ માટે પરવાનગી લેવાની ન હોય. પરિસ્થિતિ એવી ઉભી થઈ કે સુબેદાર અને નગરશેઠના લશ્કર વચ્ચે યુદ્ધ થઈ જાય. મહાજન વચ્ચે પડયું નગરશેઠને વિનંતી કરી કે તમે અમદાવાદ છોડી દો. નગરશેઠ ખુશાલચંદ દિલ્હી જતા રહ્યા. નગરશેઠ ખુશાલચંદ દિલ્હીથી સ્વમાનભેર દિલ્હીના બાદશાહ તરફથી અમદાવાદના શેઠ તરીકે સન્માન મેળવીને પાછા ફર્યા. તે સમયે દિલ્હીના બાદશાહ તરફથી મળેલા ફરમાનમાં કહેવામાં આવ્યું કે, તમારે લોકોનું કલ્યાણ અને સમૃદ્ધિ માટે ફરજો બજાવવાની છે. તે સમયે તેમને ફરમાનની સાથે માનનો પોશાક, કાનના એરીંગ્સ વગેરે આપવામાં આવ્યા.

નગરશેઠ ખુશાલચંદ કેવા મુત્સદ્દી હતા અને કેવીે તેમની ખુમારી હતી તે આ ઘટના પરથી સમજાય છે.

નગરશેઠ ખુશાલચંદ ધર્માનુરાગી શ્રીમંત હતા. પોતાના પૂર્વજો શેઠ શાંતિદાસ, શેઠ લક્ષ્મીચંદ વગેરેની જેમ સમર્પિત જૈન શ્રેષ્ઠી હતા. અમદાવાદની વાઘણ પોળમાં તેમણે બંધાવેલું આદિશ્વર દાદાનું મોટું જિનાલય આજે પણ ઉભું છે. શેઠ શાંતિદાસની પુણ્યસ્મૃતિમાં તેનું નિર્માણ થયેલું છે.

શેઠ ખુશાલચંદ મુસલમાન નવાબોની ચાલ જાણતા હતા. પૈસા, સત્તા અને સ્ત્રીઓના શોખીન આ સુબેદારોનો કોઈ ભરોસો ન કરાય તે સમયે અમદાવાદનું બીબીપુર એટલે આજનું સરસપુર ધમધમતુ હતું. ત્યાં ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર હતું. આ દેરાસર પણ સુબેદારોએ લૂંટયું હતું અને ત્યાં ગૌવધ પણ કરાયો હતો. આ જિનાલયની પ્રતિમાઓ સુરક્ષિત રાખવા માટે નગરશેઠ ખુશાલચંદે તેને ઉઠાવીને ઝવેરીવાડના દેરાસરમાં લઈ આવ્યા અને ત્યાં સ્થાપના કરી તે જિનાલયની ઘણી પ્રતિમા આજે પણ વાઘણપોળના આદેશ્વર દેરાસરમાં, શેઠ શ્રીપાળ ઝવેરીના જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલયમાં, શેઠ વખતચંદના છઠ્ઠા પુત્ર સૂરજમલે બંધાવેલી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં, શેઠ વખતચંદ અને તેમના કુટુંબીજનોએ બંધાવેલા શ્રી અજિતનાથ દેરાસરમાં આજે પણ વિદ્યમાન છે.

નગરશેઠ ખુશાલચંદનો કારોબાર વિશાળ હતો. ચારે તરફ ફેલાયેલા વેપારમાંથી અઢળક કમાતા અને અઢળક સત્કાર્યો કરતા તેમની નામના દેશદેશાવરમાં પ્રસરી હતી. વિદેશમાં પણ તેમના નામના ડંકા વાગતા હતા.

જૈન સંઘને જે શ્રેષ્ઠીઓ મળ્યા તે નામાવલીમાં શેઠ ખુશાલચંદ ભારે યશ સાથે અમરત્વ પામ્યા છે.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top