શ્રી શત્રુંજ્ય મહાતીર્થની નવ ટૂંક
જરુર જાણો નવટૂંક નો સંપૂર્ણ ઇતિહાસ અને જ્યારે પણ પાલીતાણા જાઓ નવટૂંક ની યાત્રા જરુર કરો.
મંદીરો ની નગરી શ્રી શત્રુંજ્ય તીર્થ એની નવ ટૂંકથી શોભે છે. યાત્રાળુ એક એક ટૂંક ચડતો જાય અને એના ભીતરના એક એક ચક્ર ખૂલતાં જાય. દેરાસરોના સમૂહને ટૂંક કહેવામાં આવે છે. મંદિરોની આ નગરીમાં આવી નવ ટૂંક અનેરી શોભા ધારણ કરે છે. એના અતિ ગૌરવવંતા ઈતિહાસ પર દૃષ્ટિપાત કરીએ.
શ્રી શત્રુંજ્ય તીર્થ પરની નવ ટૂકમાં કુલ ૧૨૪ જિનાલયો, ૭૩૯ દેરીઓ, ૧૧૪૭૪ પ્રતિમાજીઓ અને ૮૯૬૧ પાવન પગલાંઓ છે. આ નવ ટૂકની યાત્રા બે રીતે કરાય છે. એક તો હનુમાનધારાથી જમણે હાથે જે રસ્તો જાય છે તે નવ ટૂક તરફ જાય છે. એ રસ્તે જતાં પહેલી સવા-સોમાની આવે છે. જ્યારે પહેલી દાદાની ટૂકના દર્શન કરીને સગાળ પોળથી જતાં બીજી મોતીશા ટૂક વગેરેના રસ્તે જઇએ ત્યારે નવમી છેલ્લી ટૂક સવા-સોમાની આવે છે.
(૧) મોતીશાની ટૂક: સગાળ
પોળની બહાર આવ્યા બાદ ઘેટી પાગના રસ્તે જતાં વચ્ચે જમણી બાજુ એક બારી છે. તેમાંથી નલિનીગુલ્મ દેવવિમાનના આકારે બનાવેલી મોતીશા ટૂકમાં દાખલ થવાય. એક સમયે દાદાની ટૂકમાં જવા માટે સગાળ પોળ તરફ કેડીનો રસ્તો જોખમી હોવાથી મોટા ભાગના યાત્રાળુઓ હનુમાનધારાથી ચૌમુખજી ટૂક, અદ્ભુતજી, બાલાભાઈ ટૂક થઈને સીધા હાથીપોળ જતા હતા, તેથી મોતીશા શેઠે આ ભયંકર કુંતાસરની ખીણ પુરાવી તેના પર નલિનીગુલ્મ વિમાન જેવું દેરાસર બંધાવવાનો ભગીર્થ સંકલ્પ કર્યો.આ ટૂકનું કામ સાત-સાત વર્ષ સુધી ચાલ્યું. વિ.સં. ૧૮૮૮માં સહેજે વરસાદ ન પડયો ત્યારે એક હાંડાના ચાર આના ઠરાવી શત્રુંજ્ય નદીમાંથી પાણી મંગાવ્યું. ૧૧૦૦ સલાટો અને ૩૦૦૦ મજૂરોને અહીં કામે લગાડયા. એંસી હજાર રૂપિયાનાં દોરડાં વપરાયાં. મુંબઈના શાહસોદાગર મોતીશા ત્રણ શિખર, ત્રણ ગભારા અને ત્રણ મજલાના દેવવિમાન જેવા દેરાસરમાં પોતાની ધર્મભાવનાને કંડારાતી જોઈને પ્રસન્ન થતા હતા.
પાંચ હજાર જિનબિંબ તૈયાર કરવામાં આવ્યાં. પ્રતિષ્ઠાનું મુહૂર્ત દૂર હતું. વિ.સં. ૧૮૯૨ના ભાદરવા સુદ એકમના રોજ ચોપન વર્ષની ઉંમરે મોતીશા શેઠ દેહમુક્ત થયા. પર્યુષણ પર્વના એ પવિત્ર દિવસો હતા.મહાવીર જન્મવાચન ચાલતું હતું અને સાહસિક શેઠનું પ્રાણપંખેરું દેહનો માળો છોડી ઊડી ગયું.
એમના જ્યેષ્ઠ પુત્ર ખેમચંદભાઈએ શ્રીસંઘ કાઢવા સાથે વિ.સં. ૧૮૯૩માં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન સહિત નૂતન પાંચ હજાર બિંબોની અંજનશલાકાવિધિ સંપન્ન કરી અને પોષ વદ એકમના પ્રાણપ્રતિષ્ઠા પણ સંપન્ન થઈ. ૧૮ દિવસ સુધી સમગ્ર પાલિતાણામાં સ્વામીવાત્સલ્ય રાખ્યું હતું, જેનો ખર્ચ એ સમયે ચાલીસ હજાર રૂપિયા થયો હતો.
આ ટૂકમાં મરુદેવી માતાના ખોળામાં બેઠેલા ઋષભકુમારની ધ્યાનાકર્ષક મૂર્તિ છે. અહીં મોતીશા શેઠ, એમનાં પત્ની અને માતાની મનોહર મૂર્તિ પણ મળે છે. આજે પણ શત્રુંજ્ય તીર્થની યાત્રાએ જે સંઘ આવે છે, તેના સંઘપતિને શેઠ મોતીશાના નામથી પ્રવેશ તિલક કરાય છે.
(૨) બાલાવસહીની ટૂક: શ્રી
બાલાભાઈની ટૂક (બાલાવસહી) ઘોઘા બંદરના શેઠ દીપચંદ કલ્યાણજીએ સંવત ૧૮૯૩માં બંધાવી છે. દીપચંદ શેઠનું હુલામણું નામ બાલાભાઈ હતું. આ ટૂકમાં ૪ મોટાં દેરાસર, ૧૩ નાની દેરીઓ, ૨૭૦ પાષાણનાં પ્રતિમાજી, ૪૪૮ પંચ ધાતુનાં પ્રતિમાજી છે.
દીપચંદ શેઠે મુંબઈમાં ગોડીજી પાશ્વૅનાથ ભગવાનના મંદિરનું પણ નિર્માણ કર્યું હતું. વળી ગોડીજી પાશ્વૅનાથ મંદિરની બાજુમાં હજારોની ઊપજવાળી મોટી ચાલી બનાવી હતી. આ શેઠનું નામ મુંબઈ નગરીમાં મશહૂર હતું. મુંબઈ ઘોઘારી સમાજમાં તેમનું નામ આગળ પડતું હતું. અહીં આ પ્રમાણે જિનાલયો આવેલાં છે.
(૧) શ્રી આદિશ્વર ભગવાન તથા શ્રી પુંડરિકસ્વામીનું દેરાસર દીપચંદ શેઠે સંવત ૧૮૯૩માં બંધાવેલ છે. શ્રી આદિશ્વર ભગવાનનું પરિકર સુંદર અને કળામય છે. (૨) શ્રી ચૌમુખજીનું મંદિર-મુંબઈના શેઠ ફત્તેચંદ ખુશાલચંદે સંવત ૧૯૦૫માં બંધાવેલ છે. (૩) શ્રી વાસુપૂજ્યસ્વામીનું દેરાસર - કપડવંજવાળા શેઠ મીઠાભાઈ ગુલાબચંદે સંવત ૧૯૧૬માં બંધાવેલ છે. (૪) શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર - ઈલોરાના શેઠ માનચંદ વીરચંદે બંધાવેલ છે. (૫) શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર - પૂનાવાળા શાહ લખમીચંદ દીપચંદે બંધાવેલ છે.
બાલાવસહીથી ૭૫ પગથિયાં ચડતાં ડુંગરમાં કોતરેલી ૧૮ ફૂટ ઊંચી અને ૧૪ ફૂટ પહોળી આદિનાથ ભગવાનની મૂર્તિ મળે છે. તેને અદ્ભુતજી (અદબદ્જી) કહેવાય છે. વિ.સં. ૧૮૮૬માં દૌલતાબાદ નિવાસી શ્રી ધર્મદાસ શેઠે અદ્ભુતજી દેરાસરના મંડપના કોટ સહિત પુન:ઉદ્ધાર કર્યો હતો. વર્ષો પહેલાં અજ્ઞાાનતાથી લોકો આને ભીમનું દેરું માનીને ભીમ અગિયારસે એની નવાંગી પૂજા કરતા હતા પછી એ ભ્રમ દૂર થતાં શ્રી આદિનાથ જન્મકલ્યાણક દિવસે ફાગણ વદ આઠમના દિવસે વર્ષમાં એક વાર પ્રક્ષાલ પૂજા થાય છે.
(૩) પ્રેમવસી - પ્રેમવસહીની ટૂક:
અમદાવાદના-રાજનગરના ધનાઢય વેપારી મોદી પ્રેમચંદ લવજી શ્રી સિદ્ધાચળનો સંઘ લઈ પાલિતાણા આવ્યા. શ્રી આદીશ્વર દાદાનાં દર્શન કરી, ટૂકોના દર્શનાર્થે નીકળ્યા. જુદી જુદી ટૂકો જોઈને હર્ષિત થયા. આનંદ-ઉલ્લાસમાં તેમની ભાવના એક મંદિર બાંધવાની જાગી. પરમાત્માની કૃપાથી ધન-સંપત્તિની ખોટ નહોતી. મંદિરમાંથી ટૂક બંધાવવાની ભાવના થઈ અને ઊંચાણ ટેકરીના સપાટ ભાગમાં એક ભવ્ય ટૂક બાંધવા યોજના કરી.
શેઠ પ્રેમચંદ લવજી મોદીએ આ ટૂક બંધાવીને ૧૮૪૩ના મહા સુદ ૧૧ના રોજ પ્રતિષ્ઠા કરી હતી. આ ટૂકમાં ૪ દેરાસરો, ૩૧ નાની દેરીઓ, ૫૨૫ પાષાણની મૂર્તિઓ, ૧ પંચધાતુની મૂર્તિ મળે છે. અમદાવાદના શ્રેષ્ઠી પ્રેમચંદ મોદીને એમની ધાર્મિક સખાવતોને કારણે બ્રિટિશ સરકારે એમને 'રાવ બહાદુર'નો ખિતાબ આપ્યો હતો અને રાજસ્થાનના ઇતિહાસ વિશે અભ્યાસ કરનાર ઈતિહાસકાર કર્નલ ટોડે લખ્યું છે, 'મોદી પ્રેમચંદની દોલતનો કોઈ પાર નહોતો. તેની કીર્તિએ સંપ્રતિ જેવા પ્રતાપી અને ઉદાર રાજાની કીર્તિને પણ ઢાંકી દીધી હતી.'
(૧) શ્રી ઋષભદેવ ભગવાનનું મુખ્ય મંદિર: મોદી પ્રેમચંદ લવજીએ સંવત ૧૮૪૩માં બંધાવ્યું. આ મંદિરમાં ચક્રેશ્વરી માતા, યક્ષ-યક્ષિણી અને પદ્માવતી માતાના ગોખલા છે. (૨) પુંડરિકસ્વામીનું દેરાસર : આ પણ મોદી પ્રેમચંદ લવજીએ સંવત ૧૮૪૩માં બંધાવ્યું છે. (૩) સહસ્ત્રફણા પાશ્વૅનાથનું મંદિર: પ્રેમચંદ મોદીની ટૂકમાં પ્રવેશતાં ડાબા હાથે આ દેરાસર આવેલ છે, જે સૂરતવાળા શેઠ રતનચંદ ઝવેરચંદે બંધાવેલ છે. આ દેરાસરના રંગમંડપમાં બે ગોખલા છે. તેની કારીગરી વસ્તુપાલ-તેજપાલના આબુ ઉપર બંધાવેલા દેરાસરમાં આવેલ દેરાણી-જેઠાણીના ગોખલાને યાદ કરાવે તેવી છે. ગભારામાં શેઠ-શેઠાણીની મૂર્તિ છે. આ બે ગોખલાઓ 'સાસુ-વહુના ગોખલા'ના નામે ઓળખાય છે. આગળ થાંભલા ઉપર ત્રણ મનોહર તોરણો છે.
કલાકારે થાંભલા પર ત્રણ પૂતળીઓ કરી છે, તેમાં એકને સાપ વીંટાળ્યો છે, એકને વીંછી કરડે છે, એકને વાંદરો પકડે છે - એટલે કે સાસુને સાપ, પડોશણને વીંછી અને વહુને વાંદરો. વહુ બિચારી ભોળી છે. તેને કોઈ વાતની ખબર હોતી નથી. પણ સાસુ તેનો જ વાંક શોધે છે. એક વખત ખોટો વાંક શોધી કાઢયો. વહુ તો સાંભળીને શરમાઈ ગઈ. તેથી ખૂબ રડી. તેમાં વળી
પડોશણે ટાપશી પૂરી. આથી વહુના વાંકમાં વધારો થયો. વહુ કૂવો પૂરવા આવી. તેણે દુ:ખની આગથી બળતે મને હૃદયની આહ નાખી. આ વાત જાણે સાક્ષાત્ જોઈ હોય તેમ કળાકારે તે વાત પૂતળીઓમાં ઉતારી અને જગતને જણાવ્યું કે કજિયો કરવાથી આવી દશા થાય, માટે કુટુંબમાં કજિયો ન થાય તેવું સુંદર વર્તન રાખવું જોઈએ.
(૪) આ મંદિરની સામે બીજું સહસ્ત્રફણા પાશ્વનાથનું દેરાસર છે. તે સૂરતવાળા રતનચંદ્રના ભાઈ પ્રેમચંદ ઝવેરચંદે બંધાવેલ છે. બંને મંદિરમાં મન ડોલાવે તેવી પાશ્વૅનાથ ભગવાનની પ્રતિમાઓ છે. બંને મંદિરની ઉપર ચૌમુખજી મૂર્તિઓ આવેલ છે. (૫) શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર પાલનપુરવાળા મોદીએ બંધાવેલ છે. (૬) શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર - મહુધાના નીમા શ્રાવકોનું બંધાવેલ છે. (૭) શ્રી ચંદ્રપ્રભુનું બીજું દેરાસર -રાધનપુરવાળા શેઠ લાલચંદભાઈએ બંધાવેલ છે. આ ટૂકને ફરતો કોટ છે.
આ આખી ટૂકનો જીર્ણોદ્ધાર અમદાવાદ માંડવીની પોળ, નાગજી ભૂધરની પોળનિવાશી શેઠ પૂંજાલાલ નગીનદાસના ધર્મપત્ની ભૂરીબહેને હજારો રૂપિયા ખર્ચીને કરાવ્યો છે. એ પછી પાંચમી હેમાભાઈની ટૂક આવે છે.
(૪) હેમાવસહીની ટૂક:
શહેનશાહ અકબરના દરબારમાં માન-સન્માન ધરાવનાર અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ શેઠના વંશજ શેઠ શ્રી વખતચંદના પુત્ર શેઠ હીમાભાઈએ સંવત ૧૮૮૬ મહા સુદ-૫ના રોજ પ્રતિષ્ઠા કરી. આ ટૂકમાં ૪ મોટાં દેરાસરો, ૩૪ નાની દેરીઓ, ૨૬૫ પાષાણના પ્રતિમાજી છે. હીમાભાઈને વડીલો પાસેથી શત્રુંજ્ય તીર્થનો વહીવટ સંભાળવાનો મળ્યો.
તેમણે પોતાનો વ્યાપાર મુંબઈ, કોલકાતા, નવાનગર, રતલામ, વડોદરા, ભાવનગર, વઢવાણ, પાલિતાણા, ધોળકા, પાલનપુર, શિરોહી આદિ ઘણી જગ્યામાં વધાર્યો હતો. તે એવો બાહોશ ને બુદ્ધિશાળી હતા કે મોટા રાજ્યો વચ્ચેના વિવાદોને દૂર કરી આપતા. બ્રિટિશ સત્તાના તેઓ સલાહકાર હતા.તેમની પ્રતિષ્ઠા રાજા-મહારાજાઓમાં પણ ઘણી સારી હતી. જ્યારે તે બહાર નીકળતા ત્યારે છડીદાર આગળ ચાલતો અને તેમને નગરશેઠનું કાયમનું બિરૂદ મળ્યુ હતું. અમદાવાદમાં હીમાભાઈ ઇન્સ્ટિટયૂટ, સંગ્રહસ્થાન, કન્યાશાળા, હોસ્પિટલ, વર્નાક્યુલર સોસાયટી, કોલેજ વગેરેમાં તેમનું આગળ પડતું સ્થાન હતું.જગદ્ગુરુ શ્રી હરિવિજયસૂરીશ્વરજીની વિદ્વત્તા અને ચમત્કારશક્તિની પ્રશંસા સાંભળી મોગલ બાદશાહ અકબરે જૈન તીર્થોનો ભોગવટો 'યાવત્ચંદ્ર દિવાકરૌ' (હંમેશને માટે) કરી આપ્યો. સૂરિજીએ અમદાવાદના સુપ્રસિદ્ધ નગરશેઠ શાંતિદાસ શેઠને તે ફરમાનો અને તીર્થરક્ષાની જવાબદારી સોંપ્યાં. શ્રી વિજયહીરસૂરીશ્વરજીના સંપ્રદાયના શાંતિસાગરસૂરિ પાસે હીમાભાઈ શેઠે પ્રતિષ્ઠા કરાવી.
(૧) શ્રી અજિતનાથનું મંદિર - સંવત ૧૮૮૬માં શેઠ હીમાભાઈ વખતચંદ ખુશાલચંદે બંધાવ્યું. (૨) શ્રી પુંડરીકસ્વામીનું મંદિર - આ મંદિર પણ શેઠ હીમાભાઈએ બંધાવ્યું. (૩) ચોમુખજીનું મંદિર - આ મંદિર શેઠ સકરચંદ પ્રેમચંદે સંવત ૧૮૮૮માં બંધાવ્યું. (૪) ચોમુખજીનું બીજું મંદિર - શેઠ હેમાભાઈએ ૧૮૮૬માં બંધાવ્યું. આ ટૂકમાં બહાર બે બાજુ બે નાના કુંડો આવેલ છે, તે 'જીજીબાઈના કુંડો' કહેવાય છે.શ્રી અજિતનાથ ભગવાનના મૂળ મંદિર પર મોટો શિલાલેખ છે. તેના ઉપર હેમાભાઈ શેઠના વંશ-વારસોની નામાવલિ તથા હેમાભાઈ શેઠે કરેલાં સત્કાર્યોની નોંધ છે. આ ટૂકમાં સુંદર નકશીદાર પથ્થરની જાળીવાળા તથા રંગીન કાચવાળા મંદિરમાં સત્તાવન ચૌમુખજીની રચના છે. સત્તાવન શિખરો જુદા જુદા નામથી ઓળખાય છે. રચના બહુ જ ભવ્ય આકર્ષક અને મનોહર છે
(૫) ઉજમવસહીની ટૂક:
અસંખ્યાત દ્વીપ-સમુહની વિશાળતા ધરાવતા જૈન ભૂગોળ પ્રમાણે આઠમો દ્વીપ નંદીશ્વર દ્વીપ ગણાય છે. આનો ઘણો મહિમા છે. તીર્થંકરોના કલ્યાણકોની ઉજવણી કરીને પાછા ફરતા દેવો નંદીશ્વર દ્વીપ પર અઠ્ઠાઈ મહોત્સવ ઉજવીને સ્વસ્થાને જતા હોય છે.
એ નંદીશ્વર દ્વીપની રચનાનો ખ્યાલ કરાવતું આ મંદિર આ ટૂકનું મુખ્યમંદિર ગણાય છે. તેમાં નંદીશ્વર દ્વીપની રચના મનોરમ અને આકર્ષક છે. તે નંદીશ્વર દ્વીપની જેમ અહીં પણ ચારે દિશામાં તેર- તેર ડુંગરો છે, તેથી બાવન ડુંગરો ઉપર ચૌમુખજી અને વચ્ચે જંબુદ્વીપના મેરુ પર્વત પર ચૌમુખજી ભગવાન બિરાજમાન કર્યા છે.
આ ટૂકની અમદાવાદના નગરશેઠ પ્રેમચંદભાઈનાં ફોઈ ઊજમબાઈએ સં. ૧૮૯૩ મહા સુદ-૧૦ના પ્રતિષ્ઠા કરાવી છે. અન્ય ગ્રંથોમાં એમ જણાવેલ છે કે નગરશેઠ પ્રેમાભાઈની બહેનનું નામ ઊજમબેન હતું. નગરશેઠનાં બહેન હોવાથી શેઠના દીકરા એમને ફોઈ કહેતા હતા, આથી તેઓ બધે ઊજમફઈ તરીકે ઓળખાતાં હતાં.લગ્ન વખતે ભાઈએ દાયદામાં ૫૦૦ ગાડા ભરાય તેટલો કરિયાવર બતાવ્યો. બહેનને સંતોષ ન થયો.ભાઈએ કારણ પૂછયું, ''તને કેમ સંતોષ નથી ?'' ઊજમફઈએ કહ્યું કે, ''શ્રી શત્રુંજય મહાતીર્થ પર દેરાસર બંધાવે, તો મને સંતોષ થાય.'' તેથી ભાઈએ ઉદારતાથી આ ટૂક બનાવી અને ઊજમફઈની ટૂક એવું નામ આપ્યું.આ ટૂકની સંવત૧૮૮૯, વૈશાખ સુદ-૧૩ના રોજ પ્રતિષ્ઠા થઈ. આ ટૂકમાં ૨ દેરાસર, ૬ દેરીઓ તથા ૨૮૮ પાષાણનાં પ્રતિમાજી છે. સુપ્રસિદ્ધ તપાગચ્છાધિરાજ શ્રી મુલચંદ્રજી મહારાજના ઉપદેશથી ઊજમબાઈએ અમદાવાદમાં વાઘણપોળમાંની પ્રસિદ્ધ ઊજમફઈની ધર્મશાળા અને ડોશીવાડાની પોળમાં અષ્ટાપદજીના મંદિરમાં નંદીશ્વર દીપ બનાવ્યા છે. આ ટૂકમાં સુંદર નકશીદાર પથ્થરની જાળીવાળા તથા રંગીન કાચવાળા મંદિરમાં સત્તાવન ચૌમુખજીની રચના છે. સત્તાવન શિખરો જુદા જુદા નામથી ઓળખાય છે. રચના બહુ જ ભવ્ય આકર્ષક અને મનોહર છે.
૧. શ્રી નંદીશ્વર દ્વીપનું મંદિર સંવત- ૧૮૮૯માં બંધાવ્યું ૨. શ્રી કુંથુનાથનું મંદિર - સંવત ૧૮૪૩માં શેઠ ડાહ્યાભાઈએ બંધાવ્યું ૩. શાંતિનાથ ભગવાનનું મંદિર - શેઠાણી પરસનબાઈએ બંધાવ્યું છે.
(૬) સાકરવસહીની ટૂક:
શ્રી સાકરવસહીની ટૂક અમદાવાદવાળા શેઠ શ્રી સાકરચંદ પ્રેમચંદે બંધાવી, સંવત ૧૮૯૩ મહા સુદ-૧૦ના રોજ તેની પ્રતિષ્ઠા કરી હતી. આ ટૂકમાં બે મોટાં દેરાસર, ૩૫ નાની દેરીઓ, ૧૩૫૯ પાષાણનાં પ્રતિમાજી તથા ૧ પંચધાતુની પ્રતિમાજી આવેલ છે.
૧. મૂળ મંદિર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું, જેમાં મૂળનાયક ભગવાન પંચધાતુના છે. ૨. શેઠ લલ્લુભાઈ જમનાદાસે સંવત ૧૮૯૩માં બંધાવેલું શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર. ૩. શેઠ મગનલાલ કરમચંદે બંધાવેલ શ્રી પદ્મપ્રભસ્વામીનું મંદિર.આ ટૂક પાસે સંવત ૧૨૭૭માં બંધાવેલ દેરાસર છે, જે મોલ્લાવસહી'ના નામે ઓળખાય છે. મંદિરની કળા ઉત્તમ છે. છીપાવસહીની ટૂકમાં પ્રવેશ કરતા પૂર્વે જમણી બાજુએ ચિલ્લણ તલાવડી પાસે શ્રી અજિતનાથ ભગવાન તથા શાંતિનાથ ભગવાનની દેરી આવે છે. તેના પ્રતીક તરીકે શ્રી નેમિનાથ ભગવાનના દેરાસર પાસે રાયણવૃક્ષ આગળની દેરીઓમાં છેલ્લી એક દેરીમાં શ્રી અજિતનાથ ભગવાન અને બીજી દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાઓ છે. કહેવાય છે કે બંને દેરીઓ ચિલ્લણ તલાવડી પાસે સામસામી હતી, જેથી ચૈત્યવંદના કરતા પૂંઠ પડતી હતી. શ્રી નેમિનાથ ભગવાનના શિષ્ય યુગપ્રધાન શ્રી નંદિષેણસૂરિ મહારાજે 'અજિતશાંતિ' સ્તવન બનાવ્યું. તે પૂર્ણ થતા બંને દેરીઓ જોડાજોડ થઈ ગઈ જેથી, બંને ભગવાનને પૂંઠ પડવાનું દોષનું નિવારણ થયું. આ ચિલ્લણ તલાવડીવાળી બંને દેરીઓ ચમત્કારિક દેરીઓ તરીકે પણ ઓળખાય છે. આ સ્તવનના રચયિતા શ્રી નંદિષેણસૂરિજી મહારાજે નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી હતી અને એમના આદેશથી આ સિદ્ધગિરી પર આવીને છ હજાર મુનિઓ સાથે અનશન કરીને મોક્ષે ગયા હતા
(૭) છીપાવસહીની ટૂક:
વિ.સં. ૧૭૯૧ વૈશાખ સુદ-૭ના દિવસે છીપા એટલે કે ભાવસાર જૈનોએ આ ટૂકની પ્રતિષ્ઠા કરાવી હતી. એમાં ઋષભદેવ, શ્રેયાંસનાથ, નેમિનાથ આદિ પાંચ ભગવાન છે. આ નાની ટૂકમાં ભમતિના ચોવીસ ગોખલા છે.
આ ટૂકમાં ઊભેલા પાંડવોની મૂર્તિ અને માતા કુંતી અને દ્રૌપદીની મૂર્તિ અત્યંત કલામય છે એની નજીકમાં પેથડશા નિર્મિત અને સં. ૧૭૮૮ના દલીચંદ કીકાભાઈ દ્વારા પ્રતિષ્ઠિત ધનુર્ધારી અર્જુનની મૂર્તિ છે. પાછળના ભાગમાં શ્રી સહસ્ત્રકૂટ, દીવાલ પર કોતરેલુ પુરુષાકાર ચૌદ લોકનું દૃશ્ય, સમવસરણ તેમજ નવપદજી અત્યંત નયનરમ્ય લાગે છે. આ ટૂકની પ્રતિષ્ઠા શ્રી લખમીચંદ શીવચંદ ભંડારી અમદાવાદવાળાએ બંધાવીને પ્રતિષ્ઠા કરાવી હતી, પરંતુ તે પૂર્વે પણ આ ટૂક હોવી જોઈએ કારણ કે એનું દેરાસર ૧૪મી સદીનું છે.એ પછી પાંચ પાંડવોએ ગિરિરાજને બારમો ઉદ્ધાર કરાવ્યો હતો. દ્વારિકા દહન અને શ્રીકૃષ્ણના દેહોત્સર્ગથી વૈરાગ્ય પામી દીક્ષા લઈ ગિરનાર તરફ વિહાર કરવાનો પાંડવોએ સંકલ્પ કર્યો કે નેમિનાથ પ્રભુને વંદન કર્યા પછી જ તપનું પારણું કરીશું. પણ દરમિયાનમાં તેમણે સાંભળ્યું કે નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા છે, આથી ગિરિરાજ શત્રુંજય પર વીસ કરોડ મુનિઓ સાથે અનશન કર્યું અને આસો સુદ પૂનમના રોજ મોક્ષે ગયા. નિયાણાના પ્રતાપે દ્રોપદી દેવલોકમાં ગઈ અને ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી મોક્ષે ગઈ. એ પછી સવા સોમાની ટૂક અથવા ચૌમુખજીની ટૂક આવે છે.
(૮) સવા- સોમાની ટૂક અથવા ચૌમુખજીની ટૂક:
ગિરિરાજ પર આવેલી આ ટૂક સૌથી ઊંચી હોવાથી દૂરથી પણ એના દર્શન કરી શકાય છે. અહીં શિખર ૯૬ ફૂટ ઊંચુ છે અને દરિયાની સપાટીથી ૧૯૭૭ ફૂટની ઊંચાઈએ આવેલું છે.
આ ટૂક વિક્રમાદિત્યના સમયમાં હતી અને 'મિરાતે અહેમદી' નામના ઉર્દૂ ભાષામાં લખાયેલા ઇતિહાસ ગ્રંથમાં લખ્યું છે કે તેના બાંધકામ માટે જરૂરી દોરડાંની પાછળ ૫૬૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો. સવા- સોમાએ વર્તમાન સમયમાં નિર્માણ કર્યું. એમણે બનાવેલા ચૌમુખજી મંદિરનું શિખર ૨૦- ૨૫ માઇલ દૂરથી દેખાય છે.
આ ટૂકની લંબાઈ ૨૭૦ ઠ ૧૧૬ ફૂટની છે. ચોકની મધ્યમાં ચતુર્મુખ શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે.* *આગળ તેનો રંગમંડપ આવેલો છે. ત્રણ દિશામાં ચોકીઆળા છે. આ દેરાસરની પ્રતિષ્ઠા ૧૬૭૫ વૈશાખ સુદ તેરસના શુભ દિવસે થઈ હતી.
આ ટૂકનો ઇતિહાસ એ સાધર્મિક ભક્તિનું એક અનુપમ ઉદાહરણ છે. વંથલીના સવચંદ શેઠ આર્થિક મુશ્કેલીમાં આવી ગયા. અમદાવાદના પ્રતિષ્ઠિત શેઠ સોમચંદ ઉપર મોટી રકમની હૂંડી લખી આપી. હૂંડી લખતા લખતા આંસુના બે ટીપા હૂંડી ઉપર પડયા. હૂંડી ગિરાસદારને આપી. ગિરાસદાર અમદાવાદ આવ્યો. સોમચંદ શેઠનું નામ પૂછતો પૂછતો સોમચંદ શેઠની હવેલીએ પહોંચ્યો ને સોમચંદ શેઠને હૂંડી આપી સોમચંદ શેઠે ખાતાવહી તપાસી સવચંદ શેઠનુંચોપડામાં ખાતું નહોતું પણ હુંડી પર આંસુના ટીપા જોઈ સવચંદ શેખનું દુ:ખ જાણી ગયા પોતાને અંગત ખાતે ઉધારીને હૂંડીની રકમ આપી.
થોડા દિવસ પછી સોમચંદ શેઠનું નામ લેતા કોઈ મહેમાન આવ્યા. સોમચંદ શેઠે અતિથિ ધારી પોતાના ઘેર જમાડયા. જમીને વાત કરતા સવચંદ શેઠે સોમચંદ શેઠને કીધું કે આપે આપેલ રકમ વ્યાજ સાથે લઈ મારું ખાતું ચૂક્તે કરો. સોમચંદ શેઠે કહ્યું : ''સાધર્મિક જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સહાય કરવી પ્રત્યેક જૈનની ફરજ છે અને ધર્મની આજ્ઞાા છે.એ રકમ તો મેં માંડીવાળી છે. હવે મારાથી એ રકમ પાછી ના લેવાય.'' સવચંદ શેઠ રકમ આપવા મક્કમ હતા. સોમચંદ શેઠની રકમ ન લેવા મક્કમ હતા. છેવટે આ રકમમાં બંનેએ બીજી રકમ ઉમેરીની શત્રુંજય પર ઊંચામાં ઊંચી ટૂક બંધાવી. આ રીતે સાધર્મિક ભક્તિના પ્રતીક સમી શ્રી ચૌમુખજીની ટૂકનું વિ.સ. ૧૬૭૫માં નિર્માણ થયું.
આ ટૂકમાં આવેલ અન્ય મંદિરો: શ્રી પુંડરિક સ્વામીનું મંદિર, અમદાવાદવાળા શેઠ ડાહ્યાભાઈનું બંધાવેલ સહસ્ત્રફૂટનું મંદિર, શેઠ સુંદરદાસ રતનચંદે બંધાવેલ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર (પ્રતિષ્ઠા વિ.સં. ૧૬૭૫) બીજું પણ એક શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (પ્રતિષ્ઠા સં. ૧૮૫૬) શેઠ ખીમજી સોમજીએ સંવત ૧૬૫૭માં બંધાવેલ શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર - આ દેરાસરમાં પાષાણની એક ચોવીશી તથા ત્રણ ચોવીશીનાં એક પ્રતિમાજી છે.
શેઠ કરમચંદ હીરચંદે સંવત ૧૮૮૪માં બંધાવેલ શ્રી સીમંધર સ્વામીનું દેરાસર પછી અજમેરવાળા ધનરૂપમલજીએ બંધાવેલ મંદિર, ભણશાળી કરમસિંહ અમદાવાદવાળાનું બંધાવેલ શ્રી અજિતનાથજી ભગવાનનું દેરાસર. ૧૪૫૨ ગણધરનાં પગલાં- પ્રતિષ્ઠિત સંવત ૧૬૮૮.
દેરી નં. ૮૭૨માં શ્રી શાંતિનાથ ભગવાનનાં ધાતુના ખૂબ પ્રાચીન પ્રતિમાજી છે, જેના પર 'સિદ્ધહેમકુમાર સંવત- ૪૦' એમ લખેલ છે. આ રીતે આ ખરતરવસહી- સવા- સોમાની ટૂકમાં મોટા દેરાસર ૨૩, નાની દેરીઓ ૨૧૨, પ્રતિમાજી ૯૮૯, ધાતુના પ્રતિમાજી ૧૦ તથા પગલા ૪૨૫૯ છે.
એક ગ્રંથમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે, પોરવાલ શિવાજી અને સોમજી નામના બે બંધુઓ હતા શિવાજીના મૃત્યુ પછી તેમના પુત્ર રૂપજીએ ચૌમુખજીનો ભવ્ય પ્રાસાદ બનાવ્યો. શિવાજી અને સોમજી બંને ભાઈઓના નામથી વેપાર ચાલતો હોવાથી આ ટૂક શિવા- સોમાના નામથી પણ ઓળખાય છે.
આની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૬૫ વૈશાખ સુદ- ૧૩ના દિવસે થઈ છે. આ ટૂકના બહારના ભાગને ખરતરવસહી કહે છે એમાં ૨૫૦૨ પગલા છે અને હાથીની અંબાડી પર બેઠેલા મરુદેવા માતાનું જિનમંદિર પણ છે. આ ખરતરવસહીમાં શ્રી શાંતિનાથ ભગવાન, મરૂદેવા માતા, શ્રી ધર્મનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી અજિતનાથ ભગવાન, શ્રી સંભવનાથ અને શ્રી આદિનાથ ભગવાનના મંદિર છે.
ખરતરવસહીની ટૂકમાંથી બહાર નીકળતાં નરસિંહ કેશવજીની ટૂક આવે છે.
(૯) નરશી નાથાની ટૂક:
વિ.સં. ૧૯૨૧માં આ ટૂકની પ્રતિષ્ઠા થઈ હતી અને તેના મૂળનાયક તરીકે અભિનંદન સ્વામી બિરાજે છે. બહાર નીકળતા જમણા હાથે અંગારશા પીરની કબર છે છે. વર્તમાનમાં સંઘ લઈને શત્રુંજય પર આવનાર સંઘપતિ સંઘના શ્રેય માટે અહીં ચાદર ચડાવે છે. અંગારશા પીરે આ તીર્થના રક્ષણનું કાર્ય કર્યું હતું અને તેથી એનું સંઘ દ્વારા તીર્થરક્ષક તરીકે ઉચિત સન્માન કરવામાં આવે છે.
આ નવ ટૂકમાં આવેલ વિવિધ મંદિરોને કારણે શ્રી શત્રુંજય તીર્થ દેવતાઓની નગરી તરીકે ઓળખાયું છે.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો