શિલ્પ વિધિ પ્રશ્નમંચ
પ્રશ્ન 333 : પ્રતિષ્ઠાવિધિ આદિ
ગ્રંથોમાં વાંચ્યું છે કે શ્રી મહાવીર સ્વામી, શ્રી નેમિનાથ તથા શ્રી મલ્લિનાથ ભગવાનની પ્રતિમા કેવળ વૈરાગ્યપ્રેરક હોવાથી
તેને ગૃહજિનાલયમાં સ્થપાય નહિ, તો શું આ યોગ્ય છે ? જો પ્રભુ કેવળ વૈરાગ્યપ્રેરક હોય તો વધુ સારું ન કહેવાય ? સંયમગ્રહણ કરવાની ઈચ્છા વધુ ન જાગે ? જો કોઈ આ પરમાત્માની પ્રતિમા ઘરે સ્થાપન કરે તો શું દોષ લાગે ?
(અર્પિત શાહ, કલકત્તા)
જવાબ 333 : માનવભવનો સાર સંયમ
છે. માનવજીવનનું મહત્ત્વ પણ મોક્ષમાર્ગની આરાધનાને અનુલક્ષીને જ છે. એ માટે
વૈરાગ્યપૂર્વકનું સંયમ આ ભવમાં પ્રાપ્ત થાય એથી વધુ રૃડું શું હોઈ શકે ? એટલે તે તો ઉપાદેય જ હોય અને તેથી વૈરાગ્ય જેના જેનાથી થાય, તે પણ ઉપાદેય જ હોય. તેમ છતાં સંસારમાં કર્મોની વિચિત્રતા, વિધિની વક્રતા, ભવિતવ્યતા, સંયોગો, પરિસ્થિતિ; આ બધાને કારણે જ્યાં સુધી સંસારમાં છે, ત્યાં સુધી જીવને જો ક્વચિત્ ઉપદ્રવો આવે કે સંતાન પરંપરામાં પ્રશ્નો આવે તો
સત્ત્વની કચાશવાળા જીવો કે અજ્ઞાની જીવો પોતાના કર્મનો દોષ કાઢવાને બદલે આ ભગવાન
પર દોષારોપણ કરતાં વાર ન લગાડે. એટલે પાણી પહેલાં પાળ બાંધવા સ્વરૃપે શ્રી
સકલચંદ્રજી કૃત પ્રતિષ્ઠાકલ્પમાં આ ત્રણ ભગવાનને ગૃહજિનાલયમાં સ્થાપવા નિષેધ કર્યો
સંભવે છે.
વૈરાગ્ય થાય અને ચારિત્ર મળે એ તો ઉત્તમ જ છે, પરંતુ જ્યારે કોઈ પણ નિયમ બનાવાતો હોય ત્યારે સમષ્ટિગત અનેક જીવોને ધ્યાનમાં
રાખીને તેમના સંયોગો – જીવદળ વગેરેને અનુરૃપ બનતો હોય છે અને તેથી ગૃહજિનાલયમાં આ
ત્રણ ભગવાન પધરાવવા નિષિદ્ધ જાણવા.
વળી, સંઘજિનાલયમાં તો આ ત્રણ ભગવાન બિરાજમાન કરી જ શકાય છે તથા
તેમની વિશિષ્ટ ભક્તિ દ્વારા વૈરાગ્ય અને સંયમગ્રહણના માર્ગે આગળ વધી જ શકાય છે.
વળી, અન્ય પણ સર્વ તીર્થંકરો સ્વયં સંયમ સ્વીકારીને તથા જગતને
સંયમનો માર્ગ બતાવીને જ મોક્ષે ગયા છે. એટલે વૈરાગ્ય તથા સંયમગ્રહણની પ્રેરણા તથા
ભાવના સર્વ કોઈ તીર્થંકરની ભક્તિથી થઈ શકે છે. માટે આ સર્વ વિચારણાએ આ ત્રણ
ભગવાનનો ગૃહજિનાલયમાં નિષેધ કર્યો સંભવે છે.
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
📝 मुनि सौम्यरत्न विजयजी
Shilp Vidhi
જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાયું હોય તો મિ.દુ.
.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો