સોમવાર, 4 એપ્રિલ, 2022

Story

*ન રડે તો હૈયું શાનું?* 

*એક બનેલી ઈતિહાસની સદાબહાર સત્યઘટના..*

પેઢી દર પેઢીથી ચાલ્યા આવતા વૈભવના સ્વામી શ્રેષ્ઠિ શાંતનુ આજે ધર્મપત્ની કુંજાદેવી સાથે ઉદાસ ને ભૂખ્યા પેટે બેઠા છે...

ભાગ્ય એવું રૂઠ્યું કે,ઘરમાં ખાવાનું ખૂટ્યું.એ હદે ખૂટ્યું કે,બે દિવસથી અન્નનો દાણો'ય પેટમાં પડ્યો નથી.

🌕 શાંતનુએ પત્ની કુંજાદેવીને કહ્યું, *"આજે રાતના મેં વિચાર્યું છે...''* ને કુંજાદેવીએ મોઢે હાથ દઈ દીધો, ને કહ્યું, *"સ્વામી! કોઈ અજુગતો,કોઈ અશુભ વિચાર ના કરતા.* 

🌕 'ને શાંતનુ સાંજે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા આવ્યા..ઘણા શ્રેષ્ઠિઓ પ્રતિક્રમણ કરવા રોજ આવતા. *શાંતનુ છેલ્લો બેઠો. એણે જોઈ લીધું, જિનદાસ શેઠે સોનાનો હાર ને કપડા ખીંટી પર ઠેરવ્યા છે. એનું મન પ્રતિક્રમણમાં આજે નો'તું.* 

એનો મનનો માંહેલો કહેતો હતો, *'શાંતનુ, પ્રતિક્રમણ તો પાપથી પાછા ફરવા કરવાનું છે ને તું પાપમાં પડવા માટે વિચાર કરે છે?'* શાંતનુએ આત્માના અવાજને સાંભળ્યો,એણે મન ફેરવ્યું.

🌕 પણ.. પ્રતિક્રમણ પૂરું થતા તો એને પેટ-પરિસ્થિતિ ને અંતિમ પરિણામોના વિચાર આવી ગયા. *ને છેલ્લે..દુઃખી હૈયે એણે સામાયિક પહેલુ ને વહેલુ પારી લીધું. એ કપડા લેવા ખીંટી પાસે ગયો ને કપડા લેતા લેતા શેઠનો હાર પણ સિફતથી લઈ લીધો.* ને ઘેર જઈ કુંજાદેવીને આપ્યો.

ધર્મપત્ની કુંજાદેવીને ચોરી લાવેલો હાર હાથમાં આપતાં ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યા...શાંતનુ પણ હીબકા ભરીને રડ્યા. *બેમાંથી કોણ કોના આંસુ લૂછે?*

🌕 રાત આખી બંન્ને પતિ-પત્નીએ જાગતા-રડતા ને ટળવળતા વિતાવી.. *સવારે કુંજાદેવીએ હાર ગીરવે મૂકવા જિનદાસ શેઠને ત્યાં જવા કહ્યું.* શાંતનુ ચમકી ગયો, *"કુંજાદેવી! તમે શું કહો છો? જેનો હાર ચોર્યો, એને ત્યાં જ ગીરવે મૂકવા જવાનું?"* કુંજાદેવી, *"હા સ્વામી! ત્યાં જ.. એમને જ થાપણ તરીકે આપી રકમ લેવી*

શાંતનુ કહે,*"શું જિનદાસ શેઠને ત્યાં જ થાપણ મૂકવા જાઉં?''* કુંજાદેવી, *"હા સ્વામી! વિશ્વાસ રાખજો. એ સાધર્મિક છે. એમને 'સાધર્મિકના સગપણ' બધાથી શ્રેષ્ઠ છે, એની ખબર છે.* એમને તો ખબર પડી જ ગઈ હશે કે, હાર તમે લીધો છે. પણ.. એ મનમાં વિચારતા હશે કે, મારા સાધર્મિકને આવુ કરવું પડ્યું. એ વાંક મારો જ છે. *જાઓ, સ્વામી! એ પ્રેમથી સ્વીકારશે,ને ગીરવે લઇ રકમ આપી દેશે.''*

🌕 આ બાજુ જિનદાસ શેઠે પ્રતિક્રમણ પાર્યું. કપડા પહેર્યા... પણ.. હાર ન મળ્યો, કપડા ખંખેર્યા, નીચે તપાસ્યું પણ હાર ન મળ્યો. *જિનદાસ શેઠને સમજતા વાર ન લાગી કે, આ હાર લઈ જનાર શાંતનુ જ છે.* આજુબાજુના શ્રાવકોએ પૂછ્યું, *"શેઠ! કંઈ ખોવાયું? કંઈ પડી ગયું?''* જિનદાસ કહે, *"ના.. ના.., કશું જ ખોવાયું નથી.''* પણ.. આખી રાત જિનદાસ શેઠ ઊંઘી ન શક્યા.

🌕 એમને રહી રહીને રડવું આવી ગયુ કે, *"મેં મારા સાધર્મિક ભાઈની કેટલી ઉપેક્ષા કરી. હું કેટલો બેધ્યાન રહ્યો.*...*આટલી હદ સુધી મારા સાધર્મિક ભાઈને ક્યારે જવુ પડ્યું હશે. એની મનની પીડા અસહ્ય બની હશે. એની પેટની આગ કેવી ભભૂકી હશે. એ કેટલો મૂંઝાયો હશે. *એનો પરિવાર કેટલો રીબાયો ને રડ્યો હશે. આ બધાનું મૂળ હું જ છું. મેં જ પ્રમાદ કર્યો. મેં જ મારા સાધર્મિક ભાઈની ખબર ના લીધી, પ્રભુ મને માફ કરો."*

🌕 શાંતનુ કેટલો મોટો ધનાઢ્ય ને ધર્મિષ્ઠ. *એની શહેરભરમાં કેટલી ઈજ્જત, આબરુ ને માનપાન કેટલા, એ મને ખબર છે. છતાં કઈ હદે એ તૂટી ગયો હશે કે, આ પગલું એણે લેવું પડ્યું.* પણ.. મને વિશ્વાસ છે, છે મારો સાધર્મિક ભાઈ, એ આવશે અહીં જ..._*કેવા ઉમદા માનવીઓ!*_

🌕 *આ બાજુ સવારે જિનદાસ શેઠ પેઢીમાં બેઠા છે, ને શાંતનુ આવ્યો.* જ્યાં એને દૂરથી જોયો ને શેઠ જિનદાસની આંખો હરખી ઊઠી. શાંતનુએ જેવો પેઢીમાં પગ મૂક્યો, ને શેઠ જિનદાસે ઉમળકાભેર આવકાર્યા, ને કહ્યું, *"આવો.. આવો.. શાંતનુ! પ્રણામ, પ્રણામ.''* શેઠે ખૂબ આત્મીયતાથી વાતો કરી ને પૂછ્યું, *"શાંતનુ, બોલ! બીજા કંઈ સમાચાર? કેમ આવવાનું થયું?"*

🌕 ને શાંતનુને હિંમત થઈ. એ કહે, *"શેઠ! અચાનક જરૂર પડી છે. આ હાર પર ધિરાણ કરશો?''* શેઠ જિનદાસનું મન રાજી રાજી થઈ ગયું. શેઠ જિનદાસ કહે, *"લાવો હાર.''* ને શાંતનુ એ હાર આપ્યો. *ને એના મનમાં ધ્રાસકો પડ્યો. કદાચ.. શેઠ બધાની વચ્ચે ચોર-ચોર કહીને પકડી લેશે. પણ.. ઝેર પીને શંકર થનારા ને હકનું રાજ્ય છોડી રામ થનારા, શેત્રુંજા ગઢની સવા-સોમાની ટૂંક બાંધનારાના દેશમાં શેઠ જિનદાસ જન્મ્યા હતા.*

🌕 એમણે કહ્યું, *"શાંતનુ! બસ..આટલી જ રકમ જોઈએ છે? આ હાર ઉપર તો વધારે જોઈએ એટલા ધીરી શકાય છે.''*

ને રૂપિયા લઈ શાંતનુ શેઠને પ્રણામ કરી ઊભો થયો. ત્યારે શેઠે કહ્યું, *"આવી રીતે આવતો રહેજે.''* પુણ્યશાળીનો સુકનનો પૈસો ઘરે આવ્યો. *શાંતનુએ નાની દુકાન ખોલી. ને સમયે સાથ આપ્યો. ને થોડા જ સમયમાં શાંતનુ ને કુંજાદેવી વ્યાજ સહિત નાણા લઈ શેઠ જિનદાસની પેઢીએ પહોંચ્યા.*

🌕 ને શેઠને વ્યાજ સાથે મૂળ રકમ પરત આપતા... શાંતનુએ શેઠ જિનદાસના પગ પકડી લીધા ને બંધ આંખોમાં દરિયો ઉભરાણો. બંન્ને ખૂબ રડ્યા. ને કહ્યું, *"શેઠ! હાર ચોરનારને હૈયાનો હાર બનાવનારા તમને મારા લાખ લાખ પ્રણામ! શેઠ! મને માફ કરો. તમારો હાર મેં ચોર્યો. તમને ખબર છે, છતાં.. તમે પૈસા ધીરો? શેઠ! મનુષ્યના દેહમાં તમે દેવતાથી અધિક છો, અમને માફ કરો.''*

🌕 હજુ આગળ પતિ-પત્ની બોલે ત્યાં તો શેઠ બોલ્યા, *"શાંતનુ! માફી તો તું મને આપ. મેં મારા સાધર્મિક ભાઈની કેટલી ઉપેક્ષા કરી. આ મારો અપરાધ તું ક્ષમા આપી દે.''*

*સાધર્મિક બંધુની ભક્તિ ઉપેક્ષા અને સાધર્મિક બંધુને ત્યાં ચોરી બન્ને કારણ લઈ બન્ને પુણ્યવંત પ્રાયશ્ચિત લેવા તત્પર બન્યા હશે તે વખતના સાક્ષી..*
*કયું હૃદય કોરું રહ્યું હશે?*
*કઇ આંખ ની કોર કોરી રહી હશે?*

_*કથા તો પૂરી કરીએ. પણ.. સાધર્મિક પ્રેમની મિશાલ જેવા સાધર્મિક ભાઈની લાગણીના શિખર જેવા. સાગર જેવી ગંભીરતાના સ્વામી શેઠ જિનદાસને એકવાર વંદના કરો...ને જાહેર કરવાની આપણી જીજીવિષાને સ્હેજ વળાંક આપીએ. ઢોલ પીટવાની આદતને થોડીક બદલીએ ને કોઈપણ સાધર્મિકને આ હદે ન જવું પડે તે માટે જાગ્રતિ રાખીએ.*_

*આ Lockdownના મહિનાઓ પછી આજ સુધી ધર્મમાં ખર્ચનારનેય ને ખર્ચો કેમ કાઢવો તે પ્રશ્ન ઊભો કરી દીધો છે. તપાસો આપના નજીકનો સબંધી કે કોઈ સાધર્મિક ક્યાંક તૂટી ગયો હોય એનો રોજિંદો ખર્ચોય ન નીકળે એ હદે પહોંચી ગયો હોય, તો તપાસ કરો..જલ્દી કરો...એ કંઈક ખોટુ પગલું લે,એ પહેલા તમે પહોંચી જાઓ...*

*લાખ લાખ ધન્યવાદ છે જે પરિવાર આજે પણ સવારે જાગતા મારા સાધર્મિક બંધુ ની ચિંતા કરે છે..*

*ए रब! मेरी दुआओ का इतना तो असर रहे,*
*मेरे भाई के चहेरे पर हमेशा मुस्कराहट रहे!*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top