ગુરુવાર, 20 જાન્યુઆરી, 2022

શત્રુંજયના 21 નામો

1. શ્રી શત્રુંજ્ય 

 

                  શુકરાજાએ પોતાના પિતા એવા સાધુભગવંતના વચનવડે જે ગિરિરાજનું છ મહિના સુધી સતત ધ્યાન ધરવાથી પોતાના બાહ્ય શત્રુઓ પર વિજય કર્યો અને પછી અભ્યંતર શત્રુ પર વિજય કર્યો તેથી આ ગિરિનું નામ “શ્રી શત્રુંજય" જાહેર થયું.

 

2. પુંડરીકગિરિ  

 

                  શ્રી પુંડરીક સ્વામી ગણધરે પોતાનું મુક્તિસ્થાન એવા શ્રી શત્રુંજયમાં પધારી દેવ અને મનુષ્યોની સભામાં શ્રી શત્રુંજયનું માહાત્મ્ય કહ્યું. ને ત્યાં ચૈત્ર મહિમાની પૂનમને દિવસે પાંચક્રોડ મુનિઓ સાથે એક માસનું અનશન કરી મુક્તિએ પહોંચ્યા. તેથી તેનું નામ "પુંડરીકગિરિ" જાહેર થયું.

 

3. સિદ્ધક્ષેત્ર 

 

                 વીસ ક્રોડ પાંડવો આ સ્થાનમાં મોક્ષ પામ્યા છે. અને અનંતા જીવો પણ મોક્ષ પામ્યા છે. માટે આ ગિરિનું નામ “સિદ્ધક્ષેત્ર" થયું. 

 

4. વિમલાચલ 

 

                     ચંદ્રશેખર વગેરે અનેક રાજાઓ અનાદિકાળનાં કર્મના કચરાને દૂર કરીને આ શ્રી સિદ્ધાચલમાં નિર્મલ – વિમલ થયા. માટે તેનું નામ “વિમલાચલ" એવું નામ પાડવામાં આવ્યું.

 

5. સુરગિરિ

 

                  પર્વતોમાં સુરગિરિ એટલે મેરુપર્વત મોટો છે. તેથીજ તેના ઉપર દરેક તીર્થંકર ભગવંતોનો જન્માભિષેક થાય છે. પરંતુ ત્યાં કોઇ મોક્ષે જતું નથી. ત્યારે આ ગિરિરાજ અનંતા જીવોને મોક્ષ જવામાં સહાયભૂત બને. માટે તે મોટો છે. તેથી એનું નામ “સુરગિરિ” પડ્યું.

 

6. મહાગિરિ 

 

                  આ ગિરિરાજ 80 યોજન પહોળો છે. અને 26 યોજનની ઊંચાઈવાળો છે. વળી આ ગિરિરાજ બીજા પર્વતો કરતાં મહિમા વડે મોટો છે. માટે તેનું નામ "મહાગિરિ" પડયું.

 

7. પુણ્યરાશિ 

 

                   શાસ્ત્રમાં શ્રાવકને દાન દેવાવડે મેઘની (વરસાદ)ની ઉપમા આપેલ છે. અને તે શ્રાવક આ ગિરિરાજમાં આવીને દ્રવ્ય આપવા વડે પુણ્યનાં કામો કરે છે. તેથી તેની પુણ્યની રાશિ ( સમૂહ ) વધે છે. માટે આ ગિરિનું “પુણ્યરાશિ” નામ થયું.

 

8. શ્રીપદગિરિ

 

                    જે નારદો બ્રહ્મચારી હોવા છતાં જગતના જીવોને લડાવી મારનારા છે. આવા નારદો પણ આ ગિરિરાજની આરાધનાના પ્રતાપે શ્રી – પદ – મોક્ષલક્ષ્મીનું પદ મેળવે છે માટે આ ગિરિરાજનું નામ “શ્રીપદગિરિ” થયું.

 

9. ઈન્દ્રપ્રકાશ 

 

                  ઈન્દ્ર મહારાજાની આગળ – સન્મુખ શ્રી સીમંધર સ્વામીએ શ્રી શત્રુંજયનો મહિમા વર્ણવ્યો અને તે મહિમા જગતમાં પ્રસિદ્ધિ પામ્યો. માટે આ ગિરિનું નામ “ઈન્દ્રપ્રકાશ" થયું.

 

10. મહાતીર્થ 

 

                અણુવ્રતને ધારણ કરનારા દશ ક્રોડ શ્રાવકને જમાડતાં જે ફ્લ પ્રાપ્ત થાય તેના કરતાં જૈન ધર્મનાં તીર્થોની યાત્રા કરવામાં ઘણો લાભ રહેલો છે. અને તેનાથી પણ શ્રી સિદ્ધાચલની ભૂમિમાં એક મુનિને દાન આપતાં ઘણો જ લાભ થાય છે. માટે આ ગિરિનું નામ “મહાતીર્થ" પડ્યું.

 

11. શાશ્વતગિરિ 

 

                       આ શ્રી શત્રુંજય ગિરિરાજ અનંતકાળ સુધી રહેશે. વળી તે ગિરિ ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં વધ-ઘટ થશે. પણ સર્વથા નાશ પામવાનો નથી. માટે તેને પ્રાયે શાશ્ર્વતો કહ્યો છે. આ વાતને શ્રી શત્રુંજ્યના માહાત્મ્યમાં સાંભળી છે તેથી આ ગિરિનું નામ “શાશ્વતગિરિ" થયું.

 

12. દ્રઢ શક્તિ

 

                   ગાય , સ્ત્રી , બાલક ને મુનિની હત્યા કરનારા , પરસ્ત્રી ગમન કરનારા , ચોરી કરનારા, દેવ દ્રવ્યને ગુરુ દ્રવ્યનું ભક્ષણ કરનારા આ ગિરિરાજમાં આવીને પોતાનાં દ્રઢ ગાઢ પાપોને ભાવથી જાત્રા કરતાં ગાળી નાંખે છે. માટે તેનું નામ “દ્રઢશક્તિ" થયું.

 

13. મુક્તિનિલયગિરિ 

 

                    કૃષ્ણ મહારાજાની થાવચ્ચા રાણીના પુત્ર થાવચ્ચા પુત્રે ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળી સંસારની ભયાનક્તા જાણી સંસારનો ત્યાગ કરી દીક્ષા લઇ એક હજાર મુનિઓ સાથે શ્રી શત્રુંજય પર આવીને તપ કરીને અનશન કરતાં મુક્તિના સ્થાનને પામ્યા. માટે આ ગિરિરાજનું “મુક્તિનિલયગિરિ" નામ થયું.

 

14. પુષ્પદંતગિરિ 

 

                   ચંદ્ર અને સૂર્ય આકાશમાં ઊભા રહીને આ ગિરિરાજનાં દર્શન કરીને અત્યંત આનંદ પામે છે. અને તેને પુષ્પોથી વધાવે છે. તેથી આ ગિરિરાજનું નામ "પુષ્પદંત" પડયું.

 

15. મહાપદ્મગિરિ 

 

                    જે પ્રાણીઓ આ તીર્થની અંતરના ભાવથી આરાધના કરે છે. તે પ્રાણીઓ કર્મના કાદવરૂપ સમુદ્રને તરીને મોક્ષનિરંજનીને પામે છે. માટે આ ગિરિનું નામ “મહાપદ્મગિરિ" થયું.

 

16. પૃથ્વીપીઠ

 

                     આત્માને લાગેલાં કર્મોને દૂર કરીને મોક્ષરૂપી લક્ષ્મીને પરણવી હોય તો લગ્ન મંડપ અને વરરાજાને બેસવાની બેઠક બનાવવી પડે. તો ત્યાં બેસીને મોક્ષે જનાર વરરાજા મોક્ષરૂપી સ્રીને પરણે. તે શિવરૂપી સ્ત્રીના વિવાહમાં મુનિવરો માટે ગિરિરાજ મંડપ અને બેઠક બને છે. તેથી આ ગિરિરાજને “પૃથ્વીપીઠ" નામથી વર્ણવવામાં આવ્યો.

 

17. સુભદ્રગિરિ

 

                   આ પરમ પવિત્ર ગિરિરાજ સહુને પવિત્ર કરનાર છે. તેની રજ અને ઝાડ પણ પવિત્ર છે. ને તે પોતે જ મંગલરૂપ છે. તે ગિરિ ભદ્ર એટલે કલ્યાણ કરનારો છે. તેથી લોકો તેની રજને મસ્તકે ચઢાવે છે. તેથી આ ગિરિવરનું નામ “સુભદ્રગિરિ" પડ્યું.

 

18. કૈલાસગિરિ 

 

                    આ ગિરિરાજના પરમ પવિત્ર સ્પર્શથી શેત્રુંજી નદીનું પાણી પણ પવિત્ર અને પાપને ધોઈ નાંખનારું છે. આથી વિધાધરો, દેવતાઓ – અપ્સરાઓ વગેરે પાપને નાશ કરવાની ઈચ્છાએ અહીં આ ગિરિરાજમાં નદીમાં આવીને વિલાસ-આનંદ પ્રમોદ કરે છે, માટે આ ગિરિરાજને “કૈલાસ” એવા સુંદર નામથી ઓળખવામાં આવ્યો.

 

19. કદંબગિરિ 

 

                     ગઈ ચોવીશીના બીજા તીર્થંકર ભગવાન શ્રી નિર્વાણી પ્રભુના કદંબ નામના ગણધરે પોતાની મુક્તિ માટે પૂછ્યું ત્યારે પ્રભુએ આ ગિરિરાજનું પુણ્ય સ્થાન બતાવ્યું હતું. તેથી તેમના નામ ઉપરથી આ ગિરિવરનું “શ્રીકદંબગિરિ" એવું નામ પ્રસિદ્ધ થયું.

 

20. ઉજ્જવલગિરિ 

 

                      આ ગિરિરાજનું મૂળ પાતાલમાં છે. મન-વચન અને કાયાના ઉજજવલ–શુભયોગથી તેને વંદન કરવામાં આવે તો તેમનો સંસાર અલ્પ થઈ જાય છે. માટે આ ગિરિનું “ઉજ્જવલગિરિ" એવું નામ પડયું.

 

21. સર્વકામદાયકગિરિ 

 

                      આ ગિરિરાજની આરાધનાના પ્રતાપે શરીરસુખ , મનની શાંતિ , પુત્રની પ્રાપ્તિ થાય છે.

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top