સોમવાર, 17 એપ્રિલ, 2023

નિગોદ એટલે શું

નિગોદ


નિગોદ એટલે શું?

*• ‘નિગોદ’ શબ્દ મુખ્યત્વે જૈન ધર્મમાં જ વપરાય છે. જીવના સ્વરૂપ વિશે જૈન ધર્મે કેટલી સૂક્ષ્મ અને ગહન મીમાંસા કરી છે તે નિગોદ ની વિચારણા પરથી સમજી શકાશે. દુનિયામાં અન્ય કોઈ ધર્મે આવી સૂક્ષ્મ વિચારણા કરી નથી.*
*• આધુનિક વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે કે*
*• વનસ્પતિમાં જીવ છે, પાણીમાં જીવાણુ છે અને હવામાં પણ જીવાણુ છે.*
*• વિજ્ઞાને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાણુ તરીકે એક કોષના શરીરવાળા ‘અમીબા’ ની શોધ કરી છે. તે નરી આંખે દેખી શકાતા નથી, તે જીવાણુઓ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે.*
*• જૈન ધર્મે એથી આગળ જઈને કહ્યું છે કે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જે ન જોઈ શકાય એવા સૂક્ષ્મતમ એક કોષના શરીરમાં પણ અનંત જીવો એક સાથે રહે છે. તેઓ બધા વચ્ચે એક જ શરીર હોય છે. આ એક સાધારણ દેહ વાળા જીવો તે જ ’નિગોદ’.*

*એક શરીર એક આત્મા અને એક શરીર અનંતા આત્મા*
*• સાધારણ વનસ્પતિકાય સિવાયના તમામ જીવભેદો નાં એક શરીરમાં એક જ જીવ હોય છે,*
*• જ્યારે સાધારણ વનસ્પતિમાં એક શરીરમાં અનંતા જીવો હોય છે, તેથી તેને અનંતકાય પણ કહેવામાં આવે છે. અનંતા જીવો વચ્ચે એક જ* *(સાધારણ) શરીર હોવાથી તથા તેમનું આહારગ્રહણ, શ્વાસોચ્છવાસ વગેરે એક સાથે જ થતાં હોવાથી તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. વળી તેને નિગોદ પણ કહેવામાં આવે છે, આમ અનંતકાય, સાધારણ વનસ્પતિ કે નિગોદ પર્યાયવાચી શબ્દો છે.*

*નિગોદ બે પ્રકારની છે સૂક્ષ્મ-નિગોદ અને બાદર-નિગોદ.*

*• સૂક્ષ્મ-નિગોદ: સૂક્ષ્મ-નિગોદ તે સૂક્ષ્મ વનસ્પતિકાય જીવો સમજવા. સુક્ષ્મ-નિગોદ ચૌદ રાજલોકમાં સર્વત્ર સર્વ આકાશ પ્રદેશમાં રહેલી છે. કાજળથી ભરેલી ડાબડીની જેમ સકળ લોક આ જીવોથી ભરેલો છે.*

*• બાદર-નિગોદ : તે કંદાદિકની માફક સાધારણ વનસ્પતિ તરીકે ઓળખાય છે. કંદમૂળ, લીલ-ફુગ વિગેરેને તેની અંદર સમાવેશ થાય છે. તે છદ્મસ્થ અને ચર્મચક્ષુવાળા જીવો ને દશ્ય છે, પરંતુ તેની અંદર પણ એક શરીરમાં અનંતા જીવોની સ્થિતિ છે.*

*જીવનું પ્રાથમિક સ્વરૂપ અને વિકસિત સ્વરૂપ*
*• નિગોદની વાત બુદ્ધિથી સમજાય એવી હોય તો પણ એના સ્વીકાર માટે શ્રદ્ધા અનિવાર્ય છે. સમગ્ર સૃષ્ટિમાં ૮૪ લાખ જીવયોની છે*
*• તેમાં સંસારી જીવનું અત્યંત પ્રાથમિક સ્વરૂપ એ નિગોદ અને*
*• અત્યંત વિકસિત સ્વરૂપ એટલે મનુષ્ય .*
*• જ્યાં સુધી સંસારમાંથી મુક્તિ મળતી નથી ત્યાં સુધી જીવો મનુષ્ય , દેવ , તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એમાં નિગોદ એ સૌ જીવો નું પહેલું શરીર રૂપી સહિયારું ઘર છે જેના એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય છે.*

*તો ચોક્ક્સથી તર્ક થાય કે નિગોદના એક શરીરમાં અનંત જીવો એક સાથે કેવી રીતે રહી શકે ?*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top