ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story


Motivational Story 72

-------------------------------------------------------
_વરમાંથી મુનિવર બનેલા એ મહાન આત્માની સાચ્ચેસાચી દાસ્તાન. પરિવાર સામે જ વાંચજો._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*કોઈની ભૂલ ક્યારેક આપણા ભાગ્યનું દ્વાર ખોલી દેતી હોય છે. કોઈની ભૂલ ક્યારેક આપણા પરિવર્તનનું નિમિત્ત બની જતી હોય છે.* કોઈની ભૂલ ક્યારેક કોઈના વિજયની ઉદ્‌ઘોષણા બની જતી હોય છે. *ભૂલ.. ભોગ લે જ, એ નક્કી નથી. કોઈની ગલતી તમને ગુલાબના ફૂલની જેમ લેતા આવડે ને તો, એ ગલતી ઉન્નતિનો ઉત્સવ બને!* એક બનેલી ઘટના.. ભૂલ.. ભાગ્ય જગવી ગઈ, તેની સાક્ષીમાં..

💍 *સિરોહી નગરી. રાજસ્થાનની ધનિક ને ધર્મિષ્ઠ નગરી.* એની જાહોજલાલી આકાશને અડતી હતી. *એ નગરી આજે હેલે ચડી હતી. કેમ કે, નગરીના શ્રીમંત શ્રેષ્ઠીઓને ત્યાં લગ્નનો પ્રસંગ હતો.* વર-વધુ બંન્ને પક્ષ સક્ષમ ને સમર્થ હતા. *મોટા-મોટા મંડપો, કમાનો, તોરણો ને ઝાકઝમાલો ને શણગારોથી નગરી.. દેવનગરી બની ગઈ હતી.* ગામેગામથી મહેમાનોનો મહેરામણ ઉમટયો હતો.

💍 *મેવા-મીઠાઈ ને ફરસાણ તૈયાર થઈ ગયા હતા. ઢોલ ઢબુકતા હતા. વાજા વાગતા હતા, અબીલ-ગુલાલ ઉડતા હતા.* લગ્નને હવે એકાદ દિવસ બાકી હશે અને એક અજબ ઘટના બની. *જેના લગ્ન છે, તે 'વરસિંઘ' - બાહોશ ને બહાદુર, શૂરો ને સોહામણો નવયુવાન છે. પણ.. એ ધર્મનિષ્ઠ પણ એટલો જ છે.* રોજ સવારે પ્રતિક્રમણ-પૂજા આદિ કર્તવ્યો એ ક્યારેય ચૂકતો નહિ.

💍 *આ લગ્નના દિવસોમાં'ય એ પોતાની ધર્મક્રિયાઓ એ જ રીતે કરતો.* આજે પણ એ વહેલી સવારે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા આવી ગયો. *સામાયિક લઈ એણે પ્રતિક્રમણ ચાલુ કર્યું. ઠંડીનો સમય હતો, હવા તેજ હતી. એણે કાશ્મીરી Shawl ઓઢી ને કાઉસગ્ગ ધ્યાનમાં લાગી ગયો.* ઉપાશ્રયમાં બિરાજમાન ગુરુભગવંતોને વંદન કરવા સિરોહીના શ્રાવક-શ્રાવિકાઓ એક પછી એક આવતા રહ્યા.

💍 *એમાં કન્યા પક્ષની બહેનો ગુરુને વાંદવા ભેગી થઈને ગીત ગાતી આવી. બધા મહાત્માને ગુરુવંદન કર્યા. એમાં સફેદ કાશ્મીરી Shawl ઓઢી કાઉસગ્ગ કરતા વરસિંઘને'ય એણે સાધુ સમજી વંદન કર્યા. શાતા પૂછીને વિદાય થયા.* વરસિંઘનું ધ્યાન પૂરું થયું. એ સામાયિક પારીને કપડા બદલતો હતો, ત્યાં જ એક યુવાને કહ્યું, *"અલ્યા વરસિંઘ! હવે તું લગ્ન કેમ કરીશ? હવે તારી વાગદત્તા જોડે લગ્ન ન કરાય."*

💍 વરસિંઘે સ્પનીલ નજરોએ પૂછયું, *"કેમ?"* તે વખતે એ યુવાને મજાકમાં કહ્યું, *"હમણાં તને જે બહેનો વંદન કરીને ગઈ, એમાં તારી ભાવિ પત્નિ પણ હતી. જેણે તને 'ઈચ્છામિ ખમાસમણો..' કહી ગુરુવંદન કર્યું. જેણે તને ગુરુ માન્યા એની જોડે ક્યારેય લગ્ન ન જ કરાય. હવે તું માંડવાળ કર."* યુવાન વરસિંઘ આ સાંભળતા એક મિનિટ ચમકી ગયો, હચમચી ગયો.

💍 એને ખાતરી થઈ. મારી ભાવિ પત્ની બનનાર મને વંદન કરી ગઈ. *એના મનમાં વિચારોનું ઘમ્મરવલોણું ચાલ્યું. જેણે મને ક્ષમાશ્રમણ કહ્યો, ને મારી સામે ગુરુ તરીકે જોયું, એની જોડે સંસાર ના મંડાય. ગુરુત્વની ગરિમાને નીચે ન ઉતારાય.* એણે ખૂબ મનોમંથન કર્યું, ને માખણરુપે શ્રમણ સ્વરુપે જીવવાનું final કર્યું. *રાગ.. વૈરાગ્યમાં પલટાયો. જ્વાલા.. જ્યોતિમાં બદલાઈ. ઝેર.. અમૃતમાં પલટાયું.*

💍 ઘરમાં બધાને ભેગા કર્યા, ને વાત કરી, *"મારે વરમાંથી મુનિવર બનવું છે."* ને આખી ઘટના કહી. બધા સ્તબ્ધ થઈ ગયા. વિચારમાં પડી ગયા. પણ.. છેલ્લે સ્વજનોએ કહ્યું, *"છોકરીને ક્યાં ખબર હતી? એણે તો ભૂલથી કર્યું છે. એમાં ગુરુ બની ગયા એવું માનવાની જરુર નથી."* બે'ય પક્ષે એક જ વાત કરી. આ તો ભૂલથી થયું છે, એમાં શું? એ વખતે વરસિંઘે કહ્યું, *"અજાણતા, પણ.. બેન કહેવાઈ જાય, પછી એ સ્ત્રીને જો પત્ની ન બનાવાય, તો અજાણતા'ય ગુરુ માની લીધા, એની જોડે સંસાર ન મંડાય. હું લગ્ન નહિ કરું. સાધુ તરીકે મને નમી, એની સાથે શાદી ન હોય."*


-------------------------------------------------------
_એક મિનિટ,_
_*આજકાલ ચાલુ થયેલી વેશભૂષા હરીફાઈમાં ઘણીવાર માતા-પિતા ને આયોજકો બાળકોને સાધુ-સાધ્વીનો વેશ પહેરાવે છે. આ સાધુપદની ઘોર આશાતના છે. આ વેશ ગમે તેને અપાય પણ નહિ, ને ગમે તેને પહેરાવાય પણ નહિ.*_
-------------------------------------------------------


💍 કથા - *પણ.. બે'ય પરિવારો ન માન્યા. ત્યારે વરસિંઘે ઉપવાસના પચ્ચક્‌ખાણ લઈ લીધા.* ખૂબ રાગ ને વૈરાગ્યની દલીલો ચાલી. *છેલ્લે.. વિરાગી વરસિંઘે સૌને મનાવી લીધા. ને.. બંધનના માંડવા મુક્તિના માંડવા બની ગયા.* શાદીની શહેનાઈએ સાધુની સૂરાવલી છેડી. *લગ્નવેદિ શ્રામણ્યની યજ્ઞવેદિ બની ગઈ. અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાના બદલે અરિહંતની સાક્ષીએ વરસિંઘે પ્રદક્ષિણા આપી,* ત્યારે પોતાના કંત બનનારાને સંત બનતા જોઈ એ ભગવંતને પ્રણમી ગઈ.

💍 *ને જ્યારે.. જગદ્‌ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના વરદહસ્તે વરસિંઘને ઓઘો અપાયો, ત્યારે વરસિંઘના તો સાડા ત્રણ કરોડ રોમ રુમઝુમ નાચ્યા જ. પણ.. ઉમટેલી જંગી જનમેદનીની આંખો પણ literally વરસી પડી.* રે.. ખુદ જગદ્‌ગુરુની નજરો પણ વરસિંઘ પર ઓવારી ગઈ.

💍 ને જગદ્‌ગુરુના વરદહસ્તે રજોહરણ પ્રાપ્ત કર્યા પછી વરસિંઘ મુનિએ સાધનાની ધૂણી એવી ધખાવી કે, *અલ્પસમયમાં પ્રખર જ્ઞાની-ધ્યાની, તપસ્વી ને શાસન પ્રભાવક મહાપુરુષ બની ગયા.. ને ગુરુએ સ્વયં એમને પંન્યાસપદથી અલંકૃત કર્યા. ને માત્ર એક ભૂલથી થયેલા વંદને એમના એવા ભાગ્ય જગાડયા કે, શ્રી વરસિંઘ મુનિને 108 શિષ્યો થયા ને જગદ્‌ગુરુના કૃપાપાત્ર બન્યા!*

_*કથા તો અહિં પૂરી કરીએ. પણ.. કેવી અદ્‌ભુત નવયુવાન વરસિંઘની હૃદયી દુનિયા. દિવસોથી સજાવેલા સંસારના સપના એક ઝાટકે વૈરાગ્યની વાસ્તવિકતાને સ્પર્શી ગયા. ને વરનો શાહી વેશ છોડી મુનિવરનો શ્રમણવેશ ધારણ કરી લીધો. છેલ્લે.. કોઈની ભૂલ આપણા ભાગ્ય બદલી શકે છે, આપણે એને ગુલાબનું ફૂલ માનવાની શરુઆત કરીએ.*_


*साधुमार्ग कठिन है,*
*ऊँचा पेड़ खजूर,*
*चढ़े तो चाखे प्रेमरस,*
*पड़े तो चकनाचूर!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top